VIDEO : જૂનાગઢમાં અદ્યતન આરોગ્ય કેન્દ્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન, તંત્રના પાપે ખાનગી હોસ્પિટલોમાં ખર્ચવા પડે છે હજારો રૂપિયા
જૂનાગઢના ખલીલપુર રોડ પર શાંતેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા કરોડોના ખર્ચે નિર્મિત અદ્યતન આરોગ્ય કેન્દ્ર અને યોગ સેન્ટર તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લાંબા સમયથી બંધ રહેતા હાલ 'શોભાના ગાંઠિયા' સમાન બની ગયા છે. આ વિસ્તારમાં આશરે 50 હજાર જેટલા લોકો વસવાટ કરે છે, જેમને સ્થાનિક સ્તરે હોસ્પિટલની સુવિધા ન મળતા નાછૂટકે ખાનગી હોસ્પિટલ અથવા દૂર આવેલી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે.
મનપાના વિરોધ પક્ષના નેતાએ આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જ્યારે બિલ્ડિંગ અને સાધનો તૈયાર છે ત્યારે ઉદ્ઘાટન માટે કોની રાહ જોવામાં આવી રહી છે? બીજી તરફ, મનપા કમિશ્નરે આ અંગે ખુલાસો કર્યો છે કે આ સેન્ટરને હવે CHC સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે અપગ્રેડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી શકે. વહીવટી મંજૂરીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાથી ટૂંક સમયમાં જ આ અદ્યતન હેલ્થ સેન્ટરની સાથે જીમ સેન્ટર પણ કાર્યરત કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આમ છતાં, સ્થાનિક રહીશોમાં પોતાના ટેક્સના નાણાંથી બનેલી આ હોસ્પિટલ ક્યારે ખરેખર શરૂ થશે તેને લઈને ભારે અસંતોષ અને આતુરતા જોવા મળી રહી છે.

