Junagadh: સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દે ઉઠાવી વિપક્ષે ભાજપને ઘેરી
જુનાગઢ મહાનગરપાલિકામાં આજે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસે ભાજપને ઘાસચારા કૌભાંડ,નવા ટેન્ડર બહાર ન પાડી જૂની એજન્સીઓને કામ એક્સેસ આપવા મુદ્દે અને ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો પૂછી ભાજપ સરકારને ઘેરી હતી.
જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક મુદ્દે તડાપીટ બોલી હતી. મનપાના શાસકો દ્વારા ઘાસચારાના કૌભાંડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, 5% ડાઉન આવેલા ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી નવું ટેન્ડર બહાર પાડ્યું અને તે 21% ઓનમાં આવ્યું છે હવે તેને વર્ક ઓર્ડર આપી ઊંચા ભાવે કામ આપવાની પેરવી ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયામાં નવી એજન્સીઓને તક આપવાને બદલે જૂની એજન્સીઓને જ કામ ચાલુ રાખવા દેવા બદલ વિપક્ષે પુરાવા સાથે રજૂઆત કરી હતી. વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે, અનેક જૂની એજન્સીઓની મુદત અને કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, નવી ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ તેમને મુદત વધારો આપી દેવામાં આવ્યો છે.
સામાન્ય સભામાં જ્યારે વિપક્ષે પુરાવાઓ સાથે આ પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સહિતના સત્તાધીશો માટે જવાબ આપવો મુશ્કેલ બન્યો હતો.

