VIDEO: સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું
વિસાવદરના જેતલવડ ગામમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, જેમાં 1,56,859ના અનાજનો જથ્થો બારોબાર વેચી છેતરપિંડી કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપ છે કે રાશનકાર્ડ ધારકો પાસેથી ઓનલાઇન અંગૂઠો લેવામાં આવતો હતો, પરંતુ લાભાર્થીઓને તેમના હકનું પૂરું અનાજ આપવાના બદલે ઓછું અનાજ આપવામાં આવતું હતું. ગરીબોના હક પર તરાપ સમાન આ કૃત્યમાં સરકારી અનાજની ચોરી અને કાળાબજારનું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો વિરોધ કરે કે અવાજ ઉઠાવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાની પણ રાવ ઉઠી છે. તપાસમાં મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓને દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો પણ ખુલાસો થયો છે. મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સરકારી નિયમોના ઉલ્લંઘન, ઉચાપત અને વિશ્વાસઘાતના આરોપસર ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાન સંચાલક દેવજી ત્રાડા અને રજાક નામના શખ્સ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

