આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર પર 1100 કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ

લોકસભા ચૂંટણી તેલંગણાની કોંગ્રેસ સરકાર પર રૂપિયા 1100 કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ કરાયો છે. રાજ્યના BRSના કાર્યકારી અધ્યક્ષ કે.ટી.રામા રાવે કોંગ્રેસ પર આક્ષેપ કરવાની સાથે રાજ્યમાં અનાજના વેચાણ અને ઉચ્ચ ગુણવત્તાના ચોખા ખરીદી સાથે સંબંધિત 1100 કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની માંગ કરી છે.
તેલંગણાના ભવનમાં આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રામા રાવે કહ્યું કે, ‘પ્રથમ કૌભાંડ 35 લાખ ટન અનાજના વેચાણ માટેના ટેન્ડરનું છે. બીજું કૌભાંડ આવાસીય કલ્યાણ છાત્રાલયો માટે 2.2 લાખ ટન ઉચ્ચ ગુણવત્તાના ચોખાની ખરીદીનો છે. 25 જાન્યુઆરીએ એક સમિતિની નિમણૂક કરાઈ હતી, તે જ દિવસે આદેશ જારી કરાયા અને ટેન્ડર પણ આમંત્રિત કરી દેવાયા. એક દિવસમાં તમામ પ્રક્રિયા સ્પષ્ટરૂપે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.’
વધુ ભાવે અનાજ ખરીદવાનો વિકલ્પ મળ્યો, પરંતુ સસ્તા ભાવે ટેન્ડર પાસ કરાયું
તેમણે એમ પણ કહ્યું કે, ‘સ્થાનિક ચોખા મિલ માલિકોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2100ના ભાવે અનાજ ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ પાત્રતાના નિયમોમાં ફેરફાર કરી દેવાયો અને કેન્દ્રીય ભંડાર એલજી ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન કંપની જેવી કંપનીઓએ પ્રતિ ક્વિન્ટલ 1885 રૂપિયાથી 2005 રૂપિયાના ભાવે આ ટેન્ડર જીતી લીધું.
ટેન્ડરમાં દર્શાવાયેલ ભાવ સ્થાનીક ભાવથી ઓછા હતા
રામા રાવે વિવિધ કલ્યાણ છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓ માટેના 2.2 લાખ ટન ઉચ્ચ ગુણવત્તાના ચોખા ખરીદવામાં 300 કરોડ રૂપિયાની કૌભાંડ થયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમને આશંકા છે કે, રાજ્યમાં આટલું મોટું કૌભાંડ કેન્દ્ર સરકાર, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તપાસ એજન્સીઓની નજરમાં કેમ ન આવ્યું? તેમણે માંગ કરી છે કે, જો મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ઈમાનદાર હોય તો તેઓ ન્યાયાધીશ દ્વારા ટેન્ડરોની તપાસ કરાવે. જો કેન્દ્ર, એમસીઆઈ અને રાજ્યની સરકાર જવાબ નહીં આપે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ ઉપરાંત તેમણે ટેન્ડરમાં સામેલ કંપનીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેન્દ્રીય તપાસ બ્યૂરો અને તકેદારી વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓ પાસે તપાસ કરાવવા માંગ કરી છે.

