NARMADA : અનાજ કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવાના સામસામા આક્ષેપ, જાણો શું કહ્યું

NARMADA NEWS : નર્મદા જિલ્લામાં રૂ.3 લાખની કિંમતનું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-આગેવાનોના નામ સામે આવ્યાં હતા. આ સમગ્ર કૌભાંડમાં 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને દેડીયાપાડાના AAP MLA ચૈતર વસાવાએ સામસામા આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો : NARMADA : ભાજપ, કોંગ્રેસ અને AAP કાર્યકરોએ સાથે મળીને 3 લાખનું સરકારી અનાજ સગેવગે કર્યું, 8 સામે નોંધાયો ગુનો
ચૈતર વસાવાની સાથે ફરનારા અનાજ કૌભાંડમાં ઝડપાયા - મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ કે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને એમનો પથ્થર ઉડીને વાગ્યો છે. અનાજ કૌભાંડમાં તેમની સાથે ફરનારાઓના જ નામ બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લાખો રૂપિયાના કૌભાંડો કર્યા છે. આ કૌભાંડ પણ ઘણા સમયથી ચાલતું હશે પણ હાલ પકડાયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું છે ચાવવાના જુદા અને દેખાડવાના જુદા છે.
કોઈપણ વ્યક્તિ હોઈ તેને છોડવામાં ન આવવો જોઈએ - ચૈતર વસાવા
આ અંગે ધારસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ કે અમે કોઈને પણ અધિકારીને બચાવ માટે ભલામણ નથી કરી. મેં તો કહ્યું છે કે કોંગ્રેસના આનંદ વસાવાને ખબર નહોતી કે આ અનાજ ક્યાં મોકલવાનું હતું. આનંદ વસાવાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. અમે કોઈને પણ અધિકારીને બચાવ માટે ભલામણ નથી કરી. મેં તો કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ હોઈ તેને છોડવામાં ન આવવો જોઈએ.

