VIDEO: જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં વીઆઈપી વાહનો અને બગીના ભાડામાં લાખો રૂપિયાનું મોટું કૌભાંડ ઉજાગર
જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રિ મેળા દરમિયાન સરકારી તિજોરીને ચૂનો લગાવતી ચોંકાવનારી વિગતો આરટીઆઈ (RTI) દ્વારા બહાર આવી છે. વીઆઈપી વાહનોના ભાડાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની લોગબુક વગર જ આરટીઓ (RTO) તંત્ર દ્વારા કરોડોના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. કાગળ પર દિવસ દરમિયાન ૧૫૦૦ કિમીનું અસંભવ અંતર દર્શાવીને અને ૪૦ કલાકનો ઓવરટાઈમ બતાવીને પ્રજાના પરસેવાના નાણાં લૂંટવામાં આવ્યા છે. વેરાવળ અને રાજકોટની એજન્સીઓ પર મહેરબાની દાખવીને ‘આશુતોષ ટ્રાવેલ્સ’ને કોઈપણ વિગત કે વ્યાજબી પુરાવા વગર ૨૦.૨૬ લાખ રૂપિયા ચૂકવી દેવાયા છે. જ્યારે આ માબતે માહિતી માંગવામાં આવી ત્યારે આરટીઓ વિભાગે પોતાની પાસે કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવીને હાથ અધ્ધર કરી લીધા છે. આ ઉપરાંત, સાધુ-સંતોની રવેડી માટે મહેસાણાથી મંગાવેલી ૪૦ બગીઓના ૮ લાખ રૂપિયાના ચુકવણા અને વરિષ્ઠ નાગરિકો માટેની રિક્ષાઓમાં પણ મોટાપાયે ગરબડ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સરકારી બાબુઓ અને સત્તાધારી પક્ષની મિલીભગતથી થયેલા આ ભ્રષ્ટાચારને લઈને સમગ્ર જિલ્લામાં રોષ ફેલાયો છે અને દોષિત અધિકારીઓ સામે કડક ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

