Junagadh: ગોપાલ ઇટાલિયા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, AAP નેતા પિયુષ પરમારનો ગંભીર આક્ષેપ
જૂનાગઢના માળિયાહાટી તાલુકામાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન બનેલી એક ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. 'આપ'ના નેતા પિયુષ પરમારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, પક્ષના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
ગઈકાલે માળિયાહાટીના ભંડુરી ગામે આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પિયુષ પરમારના જણાવ્યા અનુસાર, સભા દરમિયાન સબીર મીર નામનો શખ્સે સભામાં જૂતું ફેંકવાની ઘટનામાં સંડોવાયેલો હતો અને તેની પાસે ઘાતક છરી પણ મળી આવી હતી. પિયુષ પરમાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપી સબીર મીર ગોપાલ ઇટાલિયાને જાનથી મારી નાખવાના ઈરાદે જ સભામાં આવ્યો હતો.
આ ગંભીર ઘટના બાદ જ્યારે પિયુષ પરમાર અને અન્ય કાર્યકરો માળિયાહાટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, ત્યારે પોલીસના વલણથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે, ગઈકાલની 'સ્ટેશન ડાયરી' માં આ ઘટના અંગે કોઈ જ નોંધ કરવામાં આવી નથી. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધારશે કે કેમ, અને આક્ષેપોની સત્યતા શું છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

