ભવનાથમાં ભક્તિનો મહાસાગર: શિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટ્યું માનવમહેરામણ, જાણો મેળાની લેટેસ્ટ સ્થિતિ
Bhavnath Mahadev Temple: જૂનાગઢમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો જામ્યો છે. મેળાના બીજા દિવસે આજે વહેલી સવારથી જ ભગવાન શિવ અને તેમના ગણ સમાન મનાતા નાગા સાધુઓના દર્શન કરવા માટે યાત્રિકોનો અવિરત પ્રવાહ ભવનાથ તરફ વહી રહ્યો છે. સમગ્ર તળેટી અત્યારે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગુંજી ઉઠી છે.
પગપાળા પ્રવાસ અને શ્રદ્ધા
આ વર્ષે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રશાસન દ્વારા વાહન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીના અંદાજે સાડા ત્રણ કિલોમીટરના માર્ગ પર યાત્રિકોને ચાલીને આવવાની ફરજ પડી રહી છે. આમ છતાં, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. વૃદ્ધો, બાળકો અને યુવાનો પગપાળા ચાલીને પણ મહાદેવના દર્શને પહોંચી રહ્યા છે.
સાધુ-સંતોના ધૂણા અને ભક્તિનો સંગમ
ભવનાથ મંદિરની આસપાસના વિવિધ અખાડાઓમાં સાધુ-સંતોએ પોતપોતાના ધૂણા ચેતન કર્યા છે. ભસ્મધારી નાગા સાધુઓ અલખનો નાદ જગાવી રહ્યા છે, જે ભક્તો માટે આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. ભવનાથમાં અત્યારે ઠેર-ઠેર ભજનની સરવાણી અને અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
પૌરાણિક માન્યતા
એવી પૌરાણિક માન્યતા છે કે મહાશિવરાત્રી દરમિયાન ભગવાન શિવ સ્વયં કોઈને કોઈ સ્વરૂપે ગિરનારની તળેટીમાં પધારે છે. આ શ્રદ્ધાને કારણે જ લાખોની સંખ્યામાં લોકો મૃગી કુંડ અને ભવનાથ મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડે છે.

