VIDEO: ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં કાર્યક્રમના આયોજનની પત્રિકા વાયરલ, વન વિભાગે આયોજકોને મોકલી નોટિસ
ગીરના હાર્દ સમાન પ્રતિબંધિત વિસ્તારમાં નેશ સંસ્કૃતિ’ના નામે નિયમોના ધજાગરા ઉડાવતી પત્રિકા વાયરલ થઈ છે. જેને લઈને વન વિભાગ પણ ચોંકી ગયું છે. તુલસીશ્યામ નજીક આવેલા ખજુરી નેશમાં ૩ મેના દિવસે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નેશ સંસ્કૃતિ દર્શનના નામે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી મેદની એકઠી થવાની શક્યતા છે, જેને પગલે ગીરના પર્યાવરણ અને વન્યજીવોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પત્રિકા મુજબ આ કાર્યક્રમમાં પૂર્વ વનમંત્રી મૂળુભાઈ બેરા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અતિથિ તરીકે હાજર રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે. જે વન વિભાગ રાત્રિના સમયે સિંહોના સંરક્ષણ માટે પર્યટકો પર કડક પ્રતિબંધ લાદે છે, તે જ વિભાગની નાક નીચે અભયારણ્યની મધ્યમાં રાત્રિ રોકાણ અને લોક ડાયરા જેવા કાર્યક્રમો કેવી રીતે મંજૂર થયા તે એક રહસ્ય છે. આ ઘટના સામે આવ્યાં બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યક્રમના આયોજકોને નોટીસ મોકલી છે. ડીસીએફ વિકાસ યાદવે જીએસટીવી સાથે વાતચીતમાં કહ્યું કે, વન વિભાગ પાસેથી આવી કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને વન્ય અભયારણ્યના નિયમો મુજબ આવા કાર્યક્રમ જંગલમા ન થઈ શકે. જેથી આયોજકોને નોટીસ મોકલી ખુલાસો માંગવામાં આવ્યો છે.

