VIDEO: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 259 તાલુકામાં વરસાદ; અંજારમાં 7.24 ઈંચ
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 259 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયાં છે, જ્યારે નદી-નાળા પણ છલકાઈ ગયાં છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ભાવનગરના વલ્લભીપુર અને જામનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે કચ્છમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું છે. અંજારમાં 7.24 ઈંચ, ગાંધીધામમાં 4.61 ઈંચ અને ભચાઉમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઈંચ, જામનગર શહેરમાં 5.59 ઈંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.20 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો છે. આણંદના બોરસદમાં 5.51 ઈંચ, મહેસાણાના કડીમાં 4.29 ઈંચ, વડોદરાના કરજણમાં 4.29 ઈંચ, સુરત શહેરમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત અમદાવાદના ધોળકામાં 4.13 ઈંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઈંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.
આજથી વરસાદનું જોર ઘટશે
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 15 સપ્ટેમ્બરે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે.
અતિભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે, પરંતુ બીજી તરફ જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

