બાળકોના સ્વાસ્થ્ય સાથે હવે નહીં થાય સમાધાન! જંક ફૂડ સામે ગુજરાતમાં કડક નિયમોની માંગ

નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર મોડેલનો હવાલો અને દેશી આહાર પર ભાર
રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટર ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો હવાલો આપીને, ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રાખવા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની હિમાયત કરી છે. મહામંડળનું માનવું છે કે, વિદ્યાર્થીઓ 3 વર્ષની નાની ઉંમરે શાળામાં પ્રવેશે છે અને 18 વર્ષની વય સુધીનો તેમનો સૌથી મહત્ત્વનો સમય અહીં વિતાવે છે, જ્યાંથી જ તેઓ આહાર અને જીવનશૈલીની કાયમી આદતો ગ્રહણ કરે છે. આથી, શારીરિક નુકસાન પહોંચાડતા જંક ફૂડને બદલે કેન્ટીનોમાં પૌષ્ટિક અને સાત્વિક આહાર મળવો જોઈએ.

