VIDEO: ગુજરાતમાં ચાંદીપુરાનો વધતો કેર, 22 બાળકોના મોત, 7 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ
ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને સારવાર સઘન બનાવાઈ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે. હાલમાં 7 પોઝિટિવ દર્દીઓ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ બાળકોની સ્થિતિ પર તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

