નેપાળ પૂરમાં લાપતા લોકોમાં ગુજરાતના પ્રવાસીઓને શોધવા વહીવટીતંત્ર એલર્ટ, હેલ્પલાઈન નંબર જાહેર

નેપાળ-ચીન સરહદ નજીક આવેલા નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં બુધવારે (26મી ઓગસ્ટ) સવારે 8:30 વાગ્યે અચાનક વિનાશક પૂર આવતા ભારતના 105 સહિત વિશ્વભરના 384 યાત્રિકો ગુમ હોવાનું નેપાળ દ્વારા જાહેર કરાયું છે. જેમના રેસ્ક્યુ-સર્ચ ઓપરેશન શરૂ કરાયા છે, ત્યારે આ વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા માટે ભારે ઘસારો રહ્યો છે. ભારતનો વાર્ષિક ક્વોટા ગત વર્ષ ઈ. 2025માં 20 હજારનો હતો તે ચીન દ્વારા આ વર્ષે 24 હજારનો કરાયો હતો અને તે શરૂઆતમાં જ ભરાઈ ગયો હતો.
જૂનમાં અનેક ગુજરાતીઓને પરમીટ મળી પણ વિઝા ન મળતા પછી જવાના હતા
નેપાળ પર્યટન બોર્ડ દ્વારા ગત રાત્રિ સુધીમાં જાહેર કરવામાં આવેલી અપડેટ મુજબ, ભારતના 105 યાત્રિકો સહિત કૂલ 384 યાત્રિકોનો સંપર્ક કપાયો હતો જે માટે પ્રયાસો થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, યુ.એસ.એ., નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુ.કે., મલેશિયા સહિત અન્ય દેશોના પ્રવાસીઓ છે. આ ઉપરાંત 93 નેપાળીઓ પણ તેમાં સમાવિષ્ટ છે. અનેકની રાષ્ટ્રીયતા નક્કી થઈ નહોતી. આ યાત્રિકોમાં ગુજરાતીઓ કેટલા તે જાણવા મળ્યું નથી પણ ટૂર ઓપરેટર્સ સૂત્રોનુસાર તેની શક્યતા ઓછી છે.
રાજકોટના ટૂર ઓપરેટરે જણાવ્યું કે અહીંથી 125 યાત્રિકો માનસરોવરની યાત્રાએ ગયા હતા જેઓ એકાદ માસ પહેલા જ હેમખેમ પરત આવી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યમાંથી જૂનમાં અનેક યાત્રિકો એવા હતા જેમને પરમીટ મળી હતી. પરંતુ, વિઝા નહીં મળતા યાત્રા સ્થગિત થઈ હતી. આ ઉપરાંત રાજકોટથી આયોજન કરીને 20 એન.આર.આઈ.નું ગ્રુપ કાઠમંડુથી યાત્રાએ જનાર હતું જે યાત્રા કરીને કાઠમંડુ પરત આવી ગયાનું જાણવા મળ્યું છે. હજુ સુધી સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઈ યાત્રિકો ફસાયાના અહેવાલ નથી.
નેપાળ-તિબેટ સરહદે આવેલ રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી અનેક ભારતીય પ્રવાસીઓ ફસાયા છે. જેમાં કેટલાક ગુજરાતીઓ હોવાની પણ આશંકા છે. ખાસ કરીને ગુજરાતમાંથી માનસરોવર જતા આ પ્રવાસીઓ પૂરને લીધે ફસાયા હોવાથી હાલ રાજ્ય સરકાર દ્વારા પણ આ મુદ્દે પૂછપરછ-કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પૂરમાં અનેક લોકોના મૃત્યુ પણ થયા છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા છે-ગુમ છે ત્યારે ગુજરાતના પ્રવાસીઓને લઈને રાજ્યના વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખા દ્વારા ટોલ ફ્રી કેન્ટ્રોલરૂમ નંબર જાહેર કરાયો છે, જેઓ અમદાવાદ જિલ્લાના કોઈ પ્રવાસીઓ ફસાયેલા હોય તે સંબંધે માહિતી કે મદદ કે સહાય માટે ફોન કરી શકાશે.

