VIDEO: મંત્રી કાંતિ અમૃતિયાના વીજ પોલ વળતર અંગેના નિવેદન સામે પાલ આંબલિયાની તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
મંત્રી કાંતિ અમૃતિયાના વીજ પોલ વળતર અંગેના નિવેદન સામે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપતાં સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો સરકાર ખેડૂતો પ્રત્યે પોઝિટિવ જ હતી તો ૧૫ જૂન પહેલાં માત્ર ૫ થી ૭ લાખ રૂપિયાનું જ નજીવું વળતર કેમ આપવામાં આવતું હતું? ખેડૂતોના ઉગ્ર વિરોધ અને રેલી બાદ સરકારે બહાર પાડેલો ૪/૭નો પરિપત્ર પણ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
પાલ આંબલિયાએ પડકાર ફેંકતા કહ્યું કે જો આ વળતર ખરેખર સારું હોય તો ભાજપના સંસદસભ્યો, ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખોના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરવી જોઈએ. તેમણે સરકાર પાસે માર્કેટ ભાવથી ચાર ગણું વળતર આપવાનો કાયદો બનાવવાની, જમીનની ઘટેલી કિંમત અંગે યોગ્ય પોલિસી ઘડવાની અને વીજ લાઈનના જોખમ સામે સુરક્ષા નીતિ અમલમાં મૂકવાની માંગ કરી છે.

