Video: Chhota Udaipurમાં PM કાર્યક્રમમાંથી પરત ફરતી ST બસ પર પથ્થરમારો, ડ્રાઇવરને કાનના ભાગે ગંભીર ઈજા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરતી ઘટના સામે આવી છે. નસવાડીના તણખલા ગામ નજીક વડાપ્રધાનના કાર્યક્રમમાંથી લાભાર્થીઓને પરત મૂકીને આવતી ST બસ પર મોડી રાત્રે અજાણ્યા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ડ્રાઇવર ઘાયલ, બસના કાચ તૂટ્યા
પથ્થરમારાની આ ઘટનામાં કરજણ ડેપોની ST બસને મોટું નુકસાન થયું છે. પથ્થર સીધો બસ ચાલકને વાગતા તેને કાનના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘાયલ બસ ચાલકને તાત્કાલિક રાત્રે જ નસવાડી CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પથ્થરમારાના કારણે બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો.
આ બસ કાટકુવા ગામના લાભાર્થીઓને પરત મૂકીને રાત્રે પરત આવી રહી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો.
તણખલા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં બસને સુરક્ષિત મૂકવામાં આવી છે અને નસવાડી પોલીસે આ મામલે પથ્થરમારો કરનારા અજાણ્યા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તલાટી કમ મંત્રી નિશિત પંચાલ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.

