VIDEO: Chhotaudepurમાં જીવના જોખમે નદી ઓળંગતા લોકો, વિદ્યાર્થીઓને બેસવું પડે છે પિતાના ખભે
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પોથલીપુરા ગામ બે ભાગમાં વહેચાયેલું છે. આ છેડે પ્રાથમિક શાળા આવેલી છે. સામેના છેડે 40થી વધારે મકાનો આવેલા છે. 300 જેટલા લોકોની વસ્તી છે. પ્રાથમિક શાળા વાળા વિસ્તારમાં 100 જેટલા લોકોની વસતી છે. નદીના સામે કિનારે રહેતા લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે દરરોજ એક કિલોમીટર નદીના કમર સુધી પાણીમાં બાળકોને ખભે ઉંચકીને નદી પાર કરાવવી પડે છે. વર્ષોથી આ સમસ્યા છે. હાલ તો વધારે પાણી ચોમાસામાં આવી જાય તો દિવસો સુધી બાળકો અભ્યાસથી વંચિત રહે છે. બાળકોને શિક્ષણ માટે સામેના કિનારે કોઈ શિક્ષણની સુવિધા નથી. બીજા ગામમાં અભ્યાસ કરવા માટે બાળકોને મુકવા હોય તો 10 કિલોમીટર દૂર પ્રાથમિક શાળા આવેલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, અમે જીવના જોખમે ચાર મહિના બાળકોને અભ્યાસ માટે મોકલીએ છે. દર વખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે. વચન આપીને જતા રહે છે. પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા બે વાર સર્વે કરાવ્યું છે. પુલ બનાવવા માટે દરખાસ્ત પણ મોકલવામાં આવેલી છે. અધિકારીઓ નદીના કિનારેથી માટીના સેમ્પલ પણ લઇ ગયા હતા. પરંતુ, ત્યાર બાદ અધિકારીઓ આવ્યા નથી. આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે જીવનું જોખમ ઉભું કરીને શાળાએ આવવું પડે છે. ત્યારે રજૂઆતો કરીને ગ્રામજનો થાકી ગયા છે. પરંતુ તંત્રના અધિકારીઓને પ્રજાની પડી ના હોય તેવું લાગી રહ્યું છે.

