VIDEO: નસવાડી-કવાટ માર્ગના ખાડાઓથી વાહનચાલકો પરેશાન, તંત્ર બેદરકાર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, કવાટ અને છોટાઉદેપુરને જોડતો ૨૮ કિલોમીટરનો મહત્વનો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ હસ્તકના આ માર્ગની જાળવણી અને ખાડા પૂરવામાં તંત્ર દ્વારા ભારે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.માર્ગની જાળવણી માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, છતાં વાહનચાલકો જોખમી રીતે વાહન હંકારી રહ્યા છે. આર એન્ડ બી વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળીને વાસ્તવિક સ્થિતિ ચકાસતા નથી. આ બિસ્માર રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે સમય અને ઈંધણનો બગાડ પણ વધી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ખાડાઓ પુરાવે અને માત્ર કાગળો પર નહીં પરંતુ જમીન પર નક્કર કામગીરી કરે.

