Chhota Udaipur: આંત્રોલી ગામમાં સ્મશાનગૃહની સુવિધાનો અભાવ, વરસતા વરસાદમાં કરાઈ અંતિમ વિધિ
છોટાઉદેપુર જિલ્લાના આંત્રોલી ગામમાં સ્મશાનગૃહની સુવિધા ન હોવાને કારણે ગામલોકોને વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવાની ફરજ પડી. આ ગામના વૃદ્ધ દલ્પાભાઈ રાઠવાનું 24 ઓગસ્ટ, 2025ના રોજ અવસાન થયું હતું. જોકે, ગામમાં રોડ-રસ્તા વગરના ખુલ્લા સ્મશાનમાં, વરસતા વરસાદ વચ્ચે તેમની અંતિમ વિધિ કરવામાં આવી.
વરસાદથી બચવા માટે ગામલોકોએ તાડપત્રીનો ઉપયોગ કરીને અંતિમ વિધિ પૂર્ણ કરી. આ ઘટનાએ ગામમાં સ્મશાનગૃહની અછત અને મૃતકો માટે પણ મૂળભૂત સુવિધાઓના અભાવની સમસ્યાને ઉજાગર કરી. ગામલોકોનું કહેવું છે કે જીવિત લોકોને તો સુવિધાઓ નથી મળતી, પરંતુ મૃતકોને પણ યોગ્ય સુવિધાઓ નથી મળી રહી.
આંત્રોલી ગામના લોકોએ હવે સુવિધાયુક્ત સ્મશાનગૃહ બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. વરસાદમાં તાડપત્રી ઢાંકીને અંતિમ વિધિ કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે.

