Chhota udaipur: જીલ્લાના ત્રણ ધારાસભ્યો પૈકી એકનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી માંગ

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર આમ 6 તાલુકા આવેલા છે. જેમાં ત્રણ વિધાનસભા બેઠક આવેલી છે. જેમાં છોટાઉદેપુર વિધાનસભા, પાવીજેતપુર વિધાનસભા, સંખેડા વિધાનસભા આવેલી છે. ત્રણેય વિધાનસભા ભાજપના કબજામાં છે છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા બેઠક પણ ભાજપના કબજામાં છે તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ ભાજપની છે
હાલમાં જયારે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ની માંગ છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી એકને મંત્રી પદ આપવું જોઈએ. ધારાસભ્યો પણ હાલ મોટા ગજાના નેતાઓ સાથે મંત્રીપદ મેળવવા સંર્પકમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં મંત્રીમંડળના વિસ્તરણ ને લઈને ભારે ઉત્તેજના જાગી છે.
આદિવાસી બાહુલ્ય જીલ્લો
હાલ જે પ્રકારે રાજ્યકીય નેતાઓમાં ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાંથી એકને મંત્રી પદ મળી શકે છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને દશ લાખથી વધુની આદિવાસી સમાજની વસ્તી છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી રાઠવા ત્રિપુટીનું શાસન હતું. તેને તોડવામાં ભાજપને સફળતા મળી છે.
જ્યારે હાલ રાઠવા ત્રિપુટીના મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા ભાજપામાં જોડાઈ ગયા છે. ભાજપને મજબૂત બનાવવા માટે આદિવાસી સમાજે ખોબલે ને ખોબલે વોટ આપતા ચાર લાખથી વધુ મતોથી સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા બેઠક જીત્યા હતા. જ્યારે છોટાઉદેપુર જીલ્લાને ભાજપ દ્વારા છેલ્લા દશ વર્ષથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. મંત્રી પદ આપવામાં આવતું નથી. હાલ નવી આશા જાગી છે અને ત્રણ ધારાસભ્યો માંથી એક ધારાસભ્યને મંત્રી પદ આપીને આદિવાસી સમાજને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે.જો મંત્રી પદ નહી આપવામાં આવે તો આદિવાસી સમાજ આ વખતે ભાજપથી મુખ ફેરવી લે તેવી શક્યતાઓ રહેલી છે

