BZ કૌભાંડ: પાપોનું પ્રાયશ્ચિત કરવા બગલામુખીના દર્શને ગયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
આ પણ વાંચો : BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર, અનેક ખુલાસાઓ થશે
પોલીસની ટીમ ગામમાં ત્રણ દિવસ રોકાઇ
સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમની સાથે સ્ટેટ સાયબર ક્રાઈમના કર્મીઓ પણ ટેકનીકલ તપાસ માટે જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 3 અલગ અલગ ટીમના સભ્યોએ મહેસાણાના ભાંડુ ગામમાં રહીને રેકી કરી હતી. ગામમાં રહેલી ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સમાં રહેલી ટીમના સંપર્કમાં હતી. પરંતુ આરોપીનું ચોક્કસ લોકેશન ન મળી આવતા આખરે ત્રણ દિવસ સુધી ટેકનિકલ ટીમે ડીપ સર્ચ કર્યુ હતું અને ફાર્મ હાઉસનું લોકેશન મળી આવતા ભુપેન્દ્રસિંહને ઝડપી લેવાયો હતો. ત્યારે આરોપીની સાથે અટકાયત થયેલા કિરણ ચૌહાણની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી નિવેદન નોંધવાની કવાયત હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : બોટાદ: ઓઈલ મિલમાલિકના અપહરણમાં મોટો ખુલાસો, ફરાર આરોપીઓની ગાડીમાં હતો ભાજપનો ઝંડો
દર વર્ષે વિધી માટે જતો હોવાની કેફિયત
મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ સમક્ષ તમામ હકીકત વર્ણવાનું શરૂ કરી દીધુ છે. આરોપી બગલા મુખી મંદિરે જ કેમ ગયો તે બાબતે અધિકારીઓએ પૂછપરછ કરી ત્યારે તે દર વર્ષે દર્શન અને વિધિ કરવા સારું જતો હોવાની કેફિયત વર્ણવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકોમાં એવી માન્યતા છે કે ઉત્તર ભારતમાં આવેલા બગલા મુખીના દર્શન કરવાથી તમામ મુસીબતોનો નાશ થઇ જતો હોય છે. જેના કારણે આરોપી ત્યાં ગયો હોવાનુ સૂત્રોએ જણાવ્યુ છે.

