BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર, અનેક ખુલાસાઓ થશે

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ ના આવતા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ આપવામાં આવ્યા હતા.ભુપેન્દ્ર ઝાલાને ન્યાયાધીશના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો અને CID ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
34 દિવસ બાદ ઝડપાયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
આ પણ વાંચો: BZ કૌભાંડઃ 'જો બાપુ બહાર હશે તો જ પૈસા પાછા આવશે', વાંચો કોણે કહ્યું આવું...
ચોંકાવનારી વાત એ છે કે તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન ગયો હતો અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો. એટલું જ નહીં, પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમ કાર્ડ ખરીદતો, પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભૂપેન્દ્ર સિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે.
શું છે સમગ્ર ઘટના?
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

