Botad news: ખેડૂત અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, 3 પોલીસ કર્મી અને 15થી વધુ વ્યક્તિ ઈજાગ્રસ્ત

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી કડદાના મામલે વિવાદ ચાલી રહ્યો હતો અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ધરણ પર બેઠા હતા, પરંતુ પોલીસે ખેડૂતોને હટાવ્યા હતા. જેના પગલે રવિવારે બોટાદ જિલ્લાના હડદડ ગામ ખાતે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો.
લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ પોલીસ અધિકારીએ કર્યો
1500થી વધુ ખેડૂત હાજર રહ્યા હતા. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો. ખેડૂત અને પોલીસ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો, તેનો આક્ષેપ પોલીસ અધિકારીએ કર્યો છે.
પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યાનો આરોપ આગેવાનોએ કર્યો
જ્યારે લોકો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેવો આક્ષેપ મહાપંચાયતના આગેવાનોએ કર્યો હતો. આ ઘર્ષણમાં 3 પોલીસ કર્મચારી અને 15થી વધુ લોકોને નાની-મોટી ઈજા થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

