Bhavnagar news: આ ગંભીર બીમારી દૂર કરવા શ્રમિકે રાંધ્યું કાચબાનું માંસ, વન વિભાગની તપાસમાં મોટો ધડાકો

ભાવનગરમાં ગતરોજ ચાર પરપ્રાંતીયો પાસે કાચબાનું માંસ મળી આવતા પોલીસે ચારેય આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.
વાઈની બીમારીથી પીડાતા શ્રમિકે કાચબાના માંસનું શાક બનાવ્યું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર કામ કરતા બિહારના આ શ્રમિકો પૈકી એક શ્રમિક વાઈના રોગથી પીડાતો હતો. આરોપીના કહ્યા મુજબ કાચબાને મારીને ખાવાથી વાઈની બીમારી મટી જાય છે. જે બાદ શ્રમિક બે કાચબા લાવ્યો હતો અને એક કાચબાને મારી તેનું શાક બનાવ્યું હતું.
વન વિભાગે ચાર શ્રમિકોને દબોચ્યા
શ્રમિક કાચબાનું શાક ખાય તે પહેલા જ સમગ્ર બનાવની જાણ વન વિભાગને થતા મુખ્ય આરોપી સહિત 4 શ્રમિકોને ઝડપી લઈને કાર્યવાહી શરુ કરી હતી. વન વિભાગ ટીમને તપાસ દરમિયાન, એક જીવતો કાચબો અને એક રાંધેલા કાચબાનું શાક મળી આવ્યું હતું. ટીમે આ મામલે કાયદેસરના પગલાં સાથે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

