જૈન શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, પાલીતાણાથી બાંદ્રા વચ્ચે 7 સપ્ટેમ્બરે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

પાલીતાણા સ્થિત પ્રસિદ્ધ જૈન તીર્થધામમાં શ્રદ્ધાળુઓની સંભવિત વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. વિશેષ ભાડા સાથે દોડનારી આ ટ્રેનથી પાલીતાણા અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા જૈન શ્રદ્ધાળુઓ ઉપરાંત અન્ય મુસાફરોને પણ વધારાની રેલ સુવિધા મળશે.
6 સપ્ટેમ્બરે મુંબઈથી પાલીતાણા આવશે
ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસ–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ 6 સપ્ટેમ્બરે રાત્રે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરે સવારે 9:25 વાગ્યે પાલીતાણા પહોંચશે.
પરત ફરતી વખતે ટ્રેન નંબર 09024 પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 7 સપ્ટેમ્બરે રાત્રે 8:00 વાગ્યે પાલીતાણાથી ઉપડશે અને 8 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
અમદાવાદ સહિત આ સ્ટેશનો પર સ્ટોપેજ
બંને દિશામાં આ સ્પેશિયલ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
5 સપ્ટેમ્બરથી રિઝર્વેશન
ટ્રેન નંબર 09023 અને 09024 માટેનું રિઝર્વેશન 5 સપ્ટેમ્બર, શનિવારથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર તથા IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી શરૂ થશે. ભાવનગર મંડળના DRMએ જણાવ્યું હતું કે ધાર્મિક આયોજનો અને તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે મંડળ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ટ્રેન જૈન શ્રદ્ધાળુઓને સરળ અને સુવિધાજનક રેલ મુસાફરી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

