Bhavnagar News: સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે આરોપીઓ ઝડપાયા, પોલીસે એક મહિલા સહિત ચારની ધરપકડ કરી

ભાવનગરના પાલિતાણામાંથી એક ચોંકાવાનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાલિતાણા પોલીસે આ મામલે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી હતી અને સગીરાને શોધી વાલીને સોંપી દેવાઈ છે. આ સિવાય અપહરણ અને દુષ્કર્મમાં સામેલ ચાર આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આ હતી સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ, શનિવારે (22 નવેમ્બરના રોજ) પાલિતાણા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સગીરાની શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદના બે દિવસની અંદર સોમવારે (24 નવેમ્બરના રોજ) પોલીસ તપાસ બાદ સગીરા મળી આવી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવાર દ્વારા સગીરાની પૂછપરછ કરતા તેનું દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર માહિતી સામે આવી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચાર આરોપીની ધરપકડ, એક ફરાર
સગીરાના નિવેદનના આધારે પોલીસે વિવિધ BNS (ભારતીય ન્યાય સંહિતા) અને POCSO એક્ટ હેઠળ કલમો લગાવી કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.
પોલીસની કામગીરી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રૂબિના મોહમ્મદની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવાઇ છે. આ સિવાય અન્ય આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ અને મહેશ ચુડાસમાની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ, આ ત્રણેય આરોપી બે દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય અન્ય એક શૈલેષ મકવાણા નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલું છે. પોલીસ આ મામલે પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.

