Bharuch News: પંજાબની મહિલાનું એક્સિડન્ટ બાદ પરિવાર સાથે મિલન, સાત મહિને પતિને મળતાં સર્જાયા ભાવસભર દ્રશ્યો

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ પંજાબની મહિલાનું સાત મહિનાની ભારે જહેમત બાદ એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું. જેથી ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. પંજાબના લુધિયાણા ની 38 વર્ષીય મહિલા કુસુમદેવી ધીરજકુમાર ફેબ્રુઆરી મહિનામાં ભરુચના વાગરા પાસે રોડ એક્સિડન્ટ થવાથી તેમને સિવિલ હોસ્પિટલ, ભરુચ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
માનસિક રીતે અસ્વસ્થ હતા
કુસુમદેવીને પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ ગયા હતા. માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી નહીં. સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડાઘરમાં કુસુમ દેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશ્રય માટે લઈ આવ્યા હતા. જે બાદ સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે કુસુમદેવી સાથે વાત કરી હતી. પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા. ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા. આથી માનસિક રોગના ડો સુનિલ શ્રોત્રિય પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી. કુસુમદેવીમાં ત્રણ મહિનાની સારવારમાં જ તેનામાં ઘણો ફેર આવવા માંડ્યો હતો.આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું હતું.
પરિવારને ભરુચ બોલાવ્યો
સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યા હતા.કુસુમદેવીના પતિ ધીરજકુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજથી ગુમ થઈ ગયા હતા, તેમને ત્યાં પોલીસ, ન્યૂઝ પેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા, છતાં એમનો કોઈ ભાળ મળેલ નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી.ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસ ના સહયોગથી કુસુમદેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાગ પ્રયત્નો કરી આવા ઘણાં અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવતા ભાવ ભાવ સભર દૃશ્યો સર્જાયા હતા.

