Bharuch મનરેગા કૌભાંડ મામલે મુખ્ય આરોપી હીરા જોટવા અને પુત્રના જામીન કોર્ટે ફગાવ્યા

Bharuch News: ગુજરાતભરમાં ઠેર ઠેરથી મનરેગા કૌભાંડ સતત ઝડપાઈ રહ્યું છે. ત્યારે ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયના જામીન ભરૂચ સેશન્સ કોર્ટે ફગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી છે. હીરા જોટવાના વકીલે તેઓ હાર્ટ પેશન્ટ અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી. હીરા જેટવા અને તેના પુત્ર સહિત દસ આરોપીઓ જેલમાં છે.
શું છે સમગ્ર મામલો?
ભરૂચ જિલ્લાના જંબુસર, હાંસોટ અને આમોદ તાલુકાના 67 ગામોમાં વિવિધ કામો હેઠળ હલકી ગુણવત્તાવાળા મટિરિયલ સપ્લાય કરીને નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી.મનરેગા યોજનામાં સરકારના ઉદ્દેશ્યો મુજબ સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની આજીવિકા છીનવી લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. એવું બહાર આવ્યું હતું કે ગ્રામ પંચાયતની સંબંધિત કચેરીઓનો ઉપયોગ કર્યા વિના યાંત્રિક રીતે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અને તેની દરખાસ્તો રજૂ કરીને સરકારી મિલકતનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરીને સરકાર પાસેથી વધારાના ભંડોળ મેળવવા માટે નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. મનરેગા કૌભાંડનો સૌપ્રથમ ઘટસ્ફોટ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો.
4 કરોડ જોટવા એન્ટરપ્રાઈઝમાં જમા કરાયા
કૌભાંડના 3 થી 4 કરોડ રૂપિયા હીરા જોટવાના દિગ્વિજય રોડવેઝ અને તેમના પુત્રના જોટવા એન્ટરપ્રાઇઝમાં જમા કરવામાં આવ્યા હતા. ઉપરાંત, છેતરપિંડી દ્વારા સરકાર પાસેથી લીધેલા પૈસા વ્યક્તિગત બેંક ખાતા અને કંપનીના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.ભરૂચ પોલીસે હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય, જે તાજેતરમાં વેરાવળની સુપાસી ગ્રામ પંચાયતમાંથી સરપંચની ચૂંટણી જીત્યા હતા અને કૌભાંડમાં સંડોવાયેલા ટેકનિકલ ઓપરેટરની ધરપકડ કરી છે. આગામી સમયમાં મનરેગા કૌભાંડમાં વધુ રાજકીય લોકોના નામ બહાર આવી શકે છે.

