VIDEO: મંદિરો-પર્યટન સ્થળો પર નહીં દેખાય ભિક્ષુકો, ગુજરાતમાં શરૂ થશે મોટું અભિયાન
ગુજરાતના પ્રમુખ ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ વચ્ચે ભિક્ષાવૃત્તિ એક મોટી સામાજિક સમસ્યા બની રહી છે. આ પરિસ્થિતિને કાયમી ધોરણે બદલવા અને ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા લોકોને સન્માનજનક જીવન પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારે એક અભિયાન હાથ ધર્યું છે.
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાનના પ્રથમ તબક્કામાં ગુજરાતના 4 શહેરો અને યાત્રાધામોની પસંદગી કરવામાં આવી છે.
આ પ્રકારના લોકોને એક જ સ્થળે લાવીને તેમનું કાઉન્સિલિંગ કરાશે ત્યારબાદ આધાર કાર્ડ-રેશન કાર્ડ-આયુષ્યમાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ બનાવાશે. તેઓને આશ્રય આપીને પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત રોજગારલક્ષી તાલીમ અપાશે. — મોના પાંચાલ, અધિક સચિવ (સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર)
ગુજરાતના કયા 4 સ્થળોની પસંદગી કરાઈ?
-
વડોદરા
-
ગીર સોમનાથ (પ્રથમ જ્યોતિર્લિંગ ક્ષેત્ર)
-
એકતાનગર (સ્ટેચ્યુ ઑફ યુનિટી)
-
પાવાગઢ (શક્તિપીઠ યાત્રાધામ)
ભિક્ષુકમુક્ત અભિયાન
આ અભિયાન હેઠળ સૌથી પહેલાં વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢ જેવા પસંદ કરાયેલા સ્થળો પરથી ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા લોકોને એકઠા કરીને એક જ સ્થળે આશરો આપવામાં આવશે. ત્યારબાદ તેમનું પ્રોફેશનલ કાઉન્સિલિંગ કરવામાં આવશે, જેથી તેઓ ભિક્ષાવૃત્તિ છોડીને નવું જીવન શરૂ કરવા માનસિક રીતે તૈયાર થાય. કાઉન્સિલિંગ પછી તેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવા જરૂરી સરકારી દસ્તાવેજો બનાવી આપવામાં આવશે.દસ્તાવેજીકરણ પૂર્ણ થયા બાદ આ લોકોને આશ્રય આપીને પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત વિવિધ કૌશલ્યોની રોજગારલક્ષી તાલીમ અપાશે, જેથી તેઓ સ્વનિર્ભર બની સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનભેર જોડાઈ શકે.

