Aravalli: બે અલગ-અલગ અકસ્માતમાં 2 બાઈક ચાલકોના મોત, એક ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લામાં હાઈવે પર કાળમુખા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ધનસુરા પંથકમાં ૨૪ કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પહેલી ઘટના ધનસુરા-બાયડ હાઇવે પર બની હતી. અહીં એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ જીગ્નેશ ચૌહાણ છે અને તે ખેડા જિલ્લાનો રહેવાસી હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
બીજો અકસ્માત ધનસુરા-રામોસ હાઇવે પર કિશોરપુરા ગામ પાસે સર્જાયો હતો. અહીં માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ક્રેન અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે. જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

