Aravalli: 4 ડેરીઓમાં દરરોજ 10 હજાર લિટર જેટલું નકલી દૂધ ઠાલવવામાં આવે છે; આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો ઘટસ્ફોટ
અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં બાયડથી બાલાસિનોર સુધી નકલી દૂધ ઠાલવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, માધવ શીત કેન્દ્ર અંતર્ગત આવતી આમોદરાની ભાથીજી ડેરી, તલોદની ડેરી, બોરડી આદર્શ ડેરી અને જૂના પીપોદરાની ડેરીમાં દરરોજ અંદાજે 10 હજાર લિટર જેટલું નકલી દૂધ ઠાલવવામાં આવે છે.
આ કૌભાંડમાં જૂના પીપોદરા અને આમોદરામાં છોટા હાથી વાહન મારફતે, જ્યારે બોરડી અને ભાથીજી ડેરીમાં 6001 નંબરના ટેન્કર દ્વારા દૂધની હેરાફેરી કરવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ આ નકલી દૂધ જૂનાગઢના હનુમાન ખીજડીયાથી સપ્લાય કરવામાં આવે છે, જેના પુરાવા પણ ઉપલબ્ધ છે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં અંગે હવે જિલ્લા કલેક્ટર અને સહકારી રજીસ્ટ્રારને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે.

