VIDEO: કાળઝાળ ઉનાળામાં વરસાદ, અમરેલીના સાવરકુંડલા, ખાંભા, ગીર સહિતના પંથકમાં માવઠું
ઉનાળાની ઋતુમાં ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં 3 એપ્રિલ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે (29 માર્ચ, 2026) સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલા, ખાંભા, ગીર સહિતના પંથકમાં માવઠું થયું છે.
અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું
અમરેલીના ગીર, ખાંભા, સાવરકુંડલા સહિતના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જેમાં સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા સહિત સાકરપરા, અભરામપરા ગામમાં માવઠું થયું છે.
આ ઉપરાંત, ખાંભાના જીક્યાળી, ધજડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે.
આંબા સહિતના પાકને નુકસાનીની ભીતિ
ગરમીની સિઝનમાં અમરેલીના અનેક તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના આંબા સહિતના પાકને નુકસાની જવાની ભીતિ વર્તાઈ રહી છે. તેમજ તલ, બાજરી, મગફળી સહિતના ઉનાળુ પાકમાં પણ માવઠાની અસર પડી છે.

