VIDEO: સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ ખરીદશો નહીં, ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ બાદ રાજ્ય સરકાર આક્રમક!
રાજ્યમાં નકલી એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને હોટલ-રેસ્ટોરન્ટમાં તેના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ગુજરાત સરકારે અપીલ કરી છે કે, 'સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ ખરીદશો નહીં…'
અમરેલીમાં એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ એનાલોગ પનીર મામલે નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે, 'રાજ્યમાં એનાલોગ પનીર, બટર, ચીજ વેચતા ભેળસેળિયા માફિયા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેઓને સાંખી લેવાશે નહીં. એનાલોગ પનીર મામલે ગ્રેજેટ પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગત 6 ઓગસ્ટના રોજ રાજ્યમાં 74 જગ્યાએ તપાસ કરીને 1 હજાર કિલો પનીર વગેરે ચીજને નષ્ટ કરવામાં આવી છે. લોકોને પણ અપીલ કરું છું કે, સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ વેચનારા પાસેથી ખરીદવી નહીં. સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ પાસેથી જ વસ્તુ ખરીદવી.'
લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ખાદ્યપદાર્થોમાં નકલી કે ડુપ્લીકેટ ડેરી ઉત્પાદનોનો વપરાશ નાથવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો. રાજ્ય સરકારના આદેશાનુસાર કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા પાંચમી ઓગસ્ટે પ્રોહિબિશન ઓર્ડર (પ્રતિબંધિત આદેશ) બહાર પાડીને સમગ્ર ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.

