Amreli News: દલખાણીયા રેન્જમાં સિંહનું શંકાસ્પદ મોત, મોડી પહોંચેલી વન વિભાગની ટીમ પર આક્ષેપ

અમરેલી દલખાણીયા રેન્જ માંથી સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. વન વિભાગની ટીમ દ્વારા સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. આમ, સિંહના શંકાસ્પદ મોત મામલે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
વનવિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી
મળતી માહિતી મુજબ, અમરેલી- ગીરના વિસ્તારોમાં સિંહના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા મંદિરના પાછળના ભાગ માંથી સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.
વનવિભાગની ટીમ મોડી પહોંચી હોવાનો આક્ષેપ
સિંહના મોત મામલે દલખાણીયા રેન્જના RFO-વન વિભાગની ટીમ મોડા ઘટનાસ્થળે પહોંચી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલે સિનિયર અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, દલખાણીયા રેન્જમાં પેટ્રોલિંગના અભાવ હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે.
સમગ્ર મામલે ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCFએ સિંહના શંકાસ્પદ મોતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, 'પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું સાચું કારણ બહાર આવશે.' તમને જણાવી દઈએ કે, અગાઉ ગીર પૂર્વ ડિવિઝનમાં પણ સિંહોના મોતના બનાવો સામે આવ્યા છે. સિંહના મોતની ઘટનાને લઈને વનવિભાગના કર્મચારી પર અનેક સવાલો થઈ રહ્યા છે.

