ધરોઈ ડેમ ભરાતા સાબરમતી નદીમાં છોડાયું પાણી, ધોળકા અને દસક્રોઈ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ

ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઇ છે ગઇ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ ધોળકા અને દસક્રોઈ તાલુકાના 26 જટેલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા આદેશ અપાયો છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા 80 ટકા જેટલો ભરાઇ ગયો છે. જેના પગલે 27 જુલાઇના રોજ સાબરમતી નદીમાં અંદાજે ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.
સાબરમતી નદીમાં પાણી છોડાતા દસક્રોઈ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે. જેમાં દસકોઈ તાલુકાના ભાત, કાસીન્દ્રા, પાલડી કાકજ, નવાપુરા, મોટા છાપરા, મીરોલી, ટીંબા જ્યારે ધોળકાના સરોડા, ચંડીસર કોદાળીયાપુરા, ધુળજીપુરા આંબલીયારા, સાથળ, સહીજ રામપુર, વૌઠા, અંધારી, વીરપુર, ગીરદ, વિરડી, ઈંગોલી, પીસાવાડા વટામણ, રામપુરા, આનંદપુરા લોલીયા, ઉતેળીયા, સમાણી, ભોળાદ નાનીબોરુ અને મોટીબોરુ જેવા ગામોને એલર્ટ કરાયા છે.
સાબરમતી નદી કિનારે આવતા તંત્ર દ્વારા માલધારીઓ અને ગ્રામજનોને નદી કાંઠા નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. તેમજ આ તમામ ગામોના તલાટી મંત્રને પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે. સાબરમતી નદીમાં ચારથી પાંચ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગામડાઓમાં કોઈ મુશ્કેલી થઈ શકે તેમ નથી પરંતુ જો એક લાખ જેટલું કે તેથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે.

