Ahmedabad news: આતંકવાદી પ્રવૃત્તિ કેસમાં ATSએ ઝડપેલી શમા પરવીન અંસારીને ગ્રામ્ય કોર્ટે 13 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

Ahmedabad news: ગુજરાત એટીએસની ટીમે વૈશ્વિક કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી હતી. આ મહિલા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી કાવતરા ઘડવા અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરતી હતી. જેથી એટીએસે આ મહિલાને બેંગ્લોર કોર્ટથી ટ્રાંઝિટ રિમાન્ડ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી. જે બાદ ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શમા પરવીન અંસારીને 13 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત એટીએસ આ સમગ્ર આતંકી પ્રવૃત્તિઓની તપાસ કરશે અને સોશિયલ મીડિયામાં જેહાદી વીડિયો કોના કહેવાથી અપલોડ કરતી તે અંગેની તપાસ કરશે.
મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર જેહાદી કાવતરા ઘડવા અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને દેશના જુદાજુદા રાજ્યોના યુવાનોને ગેરમાર્ગે દોરીને જેહાદી કૃત્યો માટે ઉશ્કેરતી અલકાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી મહિલા શમા પરવીન અંસારી નામની મહિલાને ગુજરાત એટીએસની ટીમે બેંગલોરથી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પૂછપરછ માટે લાવી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને એટીએસે કુલ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ ગ્રામ્ય કોર્ટે 13 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે ગુજરાત એટીએસ મહિલાની વિસ્તારથી પૂછપરછ કરી જેહાદી કૃત્યો માટે વીડિયો અપલોડ કરવા કોણ મદદ કરતું તેમજ કોની મંજૂરી લેવાઈ હતી. તે અને અન્ય બાબતોની તપાસ કરશે.
શું હતો સમગ્ર મામલો
શમા પરવીનની બેંગલુરૂથી અટકાયત
ગુજરાત ATSની ટીમને આ એકાઉન્ટ કર્ણાટકના બેંગલુરૂમાં રહેતી શમા પરવીન નામની મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે શમા પરવીનની અટકાયત કરી તેના મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસ કરી હતી જેમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા.
શમા પરવીનના મોબાઇલ ફોને ફોડ્યો ભાંડો
શમા પરવીન દ્વારા ઉપયોગમાં લેવાતા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ Strangers_Nation02 અને ફેસબુક પેજ Strangers of The Nation અને Strangers of The Nation 2 મારફતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન AQISના લીડર મૌલાના આસિમ ઉમર દ્વારા આપેલા જિહાદી ભાષણો પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય સરકાર અને હથિયારબંદ વિપ્લવ, ગઝવા-એ-હિન્દ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહવાન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ઉપરોક્ત સોશિયલ મીડિયા એકાઉન્ટથી અલ કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકીના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મના આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવેલ છે.
લાહોરના લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના બયાનનો પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે મુસ્લિમોને હથિયારબંધ સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરે છે અને તેઓ જાતિ આધારે દેશમાં વૈમનસ્ય ફેલાવવા ઉશ્કેરણી કરે છે.
ઉપરોક્ત પુરાવાના આધારે ગુજરાત ATS દ્વારા 27 જુલાઇ 2025ના રોજ શમા પરવીનની બેંગલુરૂ ખાતેથી અટકાયત કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી અર્થે ATSની કચેરીમાં લાવવામાં આવી હતી.
વધુમાં શમા પરવીનના ફોનની ચકાસણી દરમિયાન અન્ય કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા ઈ-મેઇલ એકાઉન્ટ મળી આવ્યા હતા. સાથો સાથ વિદેશી તથા પાકિસ્તાની Entities સાથે સંપર્ક મળી આવેલ છે. જે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.

