VIDEO: ફ્લાવર શો ફ્લોપ ગયા બાદ રોપા વેચવા મુદ્દે AMCમાં ભડકો, રિવરફ્રન્ટ કોર્પોરેશનની જાહેરાતથી ભાજપના શાસકો અજાણ!
VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વર્ષે મુલાકાતીઓની ઓછી સંખ્યાને કારણે અપેક્ષા મુજબ સફળ રહ્યો નથી. હવે આ ફ્લોપ શો બાદ નવો વિવાદ રોપા અને ફૂલ-છોડના વેચાણને લઈને શરૂ થયો છે. વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે સંકલનનો અભાવ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે કે ફ્લાવર શોમાં વપરાયેલા રોપાનું વેચાણ AMCની નર્સરીઓ ખાતેથી કરવામાં આવશે. રોપાના ભાવ રૂપિયા 10થી લઈને 235 સુધી નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે શાસક પક્ષના હોદ્દેદારોએ અગાઉ જાહેરાત કરી હતી કે આ વર્ષે રોપાનું વેચાણ કરવામાં આવશે નહીં. રિવરફ્રન્ટ તંત્રએ શાસકોને જાણ કર્યા વિના જ આ નિર્ણય લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચાઓ જાગી છે.
આ મુદ્દે રિક્રિએશનલ કમિટીના ડેપ્યુટી ચેરમેન સ્નેહકુમારી (સ્નેહાબા) પરમારને પૂછવામાં આવતા તેમણે સંકલનના અભાવના પ્રશ્ન પર મૌન સેવ્યું હતું. નીતિગત નિર્ણયો રિક્રિએશનલ કમિટી લેતી હોવા છતાં, બારોબાર કરાયેલી આ જાહેરાત ભાજપના શાસકો માટે પણ ફજેતી સમાન બની છે. બીજી તરફ, શાસકો હવે એવું કહી રહ્યા છે કે ભાવની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે, જ્યારે તંત્રએ પહેલેથી જ ભાવ જાહેર કરી દીધા છે

