VIDEO: મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ્દ કરવા DEOની ભલામણ
VIDEO: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા હાઈસ્કૂલની તપાસ રિપોર્ટમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી હતી. JEE-NEET કોચિંગ ક્લાસનો ગેરકાયદેસર વેપાર તેમજ શાળામાં ફી લઈને JEE અને NEETના કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉપરાંત FRC નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. FRCના નિયમો શાળાના નોટિસ બોર્ડ પર મૂકવામાં ન આવ્યા હતા. આ તમામ ખામીઓ સામે આવતા અમદાવાદ શહેર ડીઈઓએ શાળાની માન્યતા રદ્દ કરવા ભલામણ કરી હતી.
આટલું ઓછું હોય તેમ તપાસ રિપોર્ટમાં શાળાની ભયજનક કેમેસ્ટ્રી લેબ જોવા મળી હતી. શાળાની કેમેસ્ટ્રી લેબની સ્થિતિ ભયજનક હોવાનું નિરીક્ષણમાં જોવા મળ્યું હતું. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રમાણપત્રનો અભાવ હતો. શાળા પાસે બિલ્ડિંગની સ્થિરતા દર્શાવતું પ્રમાણપત્ર પણ નથી. શાળાની મંજૂરી સમયે દર્શાવેલ મેદાનનો ભાડા કરાર જ ન હોવાનું બહાર આવ્યું હતું. નવું મેદાન, જે ભાડે લેવાયું હતું, તે શાળાથી 950 મીટર દૂર છે અને તેનો ભાડા કરાર 2020માં રદ્દ થઈ ગયો છે. જેથી ખોટી માહિતી આપી કારોબારી સમિતિને ગેરમાર્ગે દોરી હતી. શાળા દ્વારા કારોબારી સમિતિ સમક્ષ ખોટી માહિતી રજૂ કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ અને બોર્ડ દ્વારા આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

