Valentin's day: સાવધાન! અમદાવાદના નારોલ શનિદેવ મંદિર પાસે ભયાનક અકસ્માત, આઈશર ટ્રકે યુવકનો ભોગ લીધો, ટ્રાફિક જામના દ્રશ્યો

Valentin's day: અમદાવાદના નારોલ-વટવા રોડ પર વેલેન્ટાઇન ડેના દિવસે અકસ્માત થતાં 24 વર્ષીય આશાસ્પદ યુવકનું કચડાઈને મોત નીપજ્યું છે. વટવા વિસ્તારમાં રહેતો અનુજ અનિલભાઈ પ્રજાપતિ તેના મિત્ર નીતિશ સાથે બાઈક પર સવાર થઈને વટવાથી નારોલ શાહવાડી તરફ જઈ રહ્યો હતો. જે વખતે નારોલ શનિદેવ મંદિર પાસે આવેલી અંબિકા ફેક્ટરી નજીક તેની આગળ જઈ રહેલા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા નીતિશે પણ પોતાના બાઇકની શોર્ટ બ્રેક મારી હતી, જેના કારણે બાઇક સ્લિપ થઈ ગયું હતું, સવાર બંને મિત્રો રોડ પર પટકાયા હતા.
108ની ટીમે અનુજને મૃત જાહેર કર્યો
સામાન્ય લાગતો અકસ્માત એ સમયે ગંભીર બન્યો જ્યારે બાઇક પરથી નીચે પડેલા અનુજ પર પાછળથી પૂરઝડપે આવી રહેલી આઇશર 407 ટ્રક (GJ27TD2678) ફરી વળી હતી. આઇશરનું ટાયર અનુજના માથાના ભાગે ચડી ગયું હતું. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી 108ની મેડિકલ ટીમે તપાસ બાદ અનુજને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગેની જાણ થતા જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, ગુજકોમાસોલ પાસે બનેલી આ ઘટનાને કારણે રોડ પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી છે. 24 વર્ષીય અનુજનું મોત થતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો છે

