ધોળકા તાલુકામાં દૂષિત પાણી મુદ્દે ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ, ‘સમસ્યાનું નિરાકરણ લાવો, નહિતર વિધાનસભા ઘેરીશું’

ધોળકા તાલુકામાં દૂષિત પાણી અને પ્રદૂષણના મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. કેમિકલયુક્ત પાણીથી જમીન બંજર બનવા અને ગંભીર બીમારીઓ ફેલાવા સામે પાંચ ગામના લોકો છેલ્લા ૧૨ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. હવે આક્રોશિત ખેડૂતોએ સરકારને સીધું અલ્ટીમેટમ આપતાં આવનારી ૯ તારીખે શરૂ થતાં વિધાનસભા સત્ર દરમિયાન ઘેરવાની જાહેરાત કરી છે.
ખેતીલાયક જમીનને નુકસાન
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા ૧૨ દિવસથી પાંચ ગામના ખેડૂતો અને ગ્રામજનો ન્યાયની માંગ સાથે આંદોલન પર બેઠા છે. ધોળકા નગરપાલિકા દ્વારા છોડાતા દૂષિત પાણી અને સ્થાનિક કેમિકલ ફેક્ટરીઓના ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે વિસ્તારની ખેતીલાયક જમીન સંપૂર્ણપણે બંજર બની ગઈ છે. એટલું જ નહીં, આ પ્રદૂષિત પાણીના લીધે ગામોમાં કેન્સર જેવા અસાધ્ય રોગો અને ચામડીની ગંભીર બીમારીઓથી અનેક લોકોના મોત પણ નીપજ્યા છે. છતાં તંત્ર અને જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી
દિવસેને દિવસે ઉગ્ર બનતા આ આંદોલનમાં ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે. ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાન શૈલેષ મેરે જાહેરાત કરી છે કે ૯ તારીખે જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થશે, ત્યારે ૨,૦૦૦થી વધુ ખેડૂતો ગાંધીનગર પહોંચીને વિધાનસભાનો ઘેરાવ કરશે. આ આંદોલનને સમર્થન આપવા પહોંચેલા યુવરાજસિંહ જાડેજાએ પણ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (GPCB)ની કચેરી સામે ધરણા કરવા ગ્રામજનોને આહવાન કર્યું છે.
બીજી તરફ, આંદોલનકારી મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મહિલાઓનું કહેવું છે કે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે, જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધવા જતી હોય છે, ત્યારે તેઓ મંડપ નીચે આંદોલન કરવા મજબૂર બની હતી. રાધણ છઠના દિવસે પણ ઘરમાં રાંધવાના બદલે બહેનોને આંદોલનમાં બેસવું પડ્યું છે. આમ છતાં સ્થાનિક ધારાસભ્યએ આંદોલનની મુલાકાત લઈને બહેનોના ખબર-અંતર પૂછવાની પણ તસદી લીધી નથી.

