VIDEO: Ahmedabadમાં પોલીસના ઘરમાં જ ચોરોનો હાથફેરો; ચાંદખેડામાં પણ ઘરઘાટી ₹27.50 લાખ લઈ ફરાર
અમદાવાદમાં ચોરીની બે ઘટનાઓ સામે આવી છે જેમાં સામાન્ય નાગરિકની સાથે ખુદ પોલીસકર્મી પણ ચોરીનો શિકાર બન્યા છે. ચાંદખેડા વિસ્તારમાં હેર સ્ટુડિયો ચલાવતા એક વેપારીના બંધ મકાનમાંથી તેમના ઘરઘાટીએ કબાટ તોડીને 27.50 લાખ રૂપિયાની રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. જ્યારે બીજી ઘટનામાં સરસપુરમાં રહેતા અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી 8.20 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાનો સફાયો કર્યો છે.આ બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં ચોરી
ચાંદખેડામાં આવેલા જગતપુરના સેરેનિટી સ્પેસ ફ્લેટમાં રહેતા અને બોપલ ખાતે હેર સ્ટુડિયો ચલાવતા 40 વર્ષીય વેપારી યતીનભાઈ દિનેશભાઈ મેવાડાના ઘરમાં તેમના જ ઘરઘાટીએ લાખો રૂપિયાની હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ 03 ઓગસ્ટના રોજ યતીનભાઈના પત્ની, બાળકો અને પિતા બહારગામ ગયા હોવાથી ઘરમાં તેઓ એકલા જ હતા અને ઘરની ચાવી પાડોશીના ત્યાં મુકીને ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી છેલ્લા પંદરેક દિવસથી તેમના ઘરે કચરા-પોતાનું કામ કરતા સુનિલ લીલારામ કલાસવા (ઉ.વ. 25-30, મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન) નામના શખ્સે પાડોશી પાસેથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો હતો. આ પછી સુનિલે બેડરૂમમાં રહેલા લાકડાના કબાટનો દરવાજો તોડી અંદરના પર્સનલ લોકરમાંથી અંદાજે રૂપિયા 7,00,000ની રોકડા, રૂપિયા 15,30,000 ની કિંમતના સોનાના વિવિધ દાગીના જેમાં ચેઈન, બંગડી, બુટ્ટી, વીંટીઓ અને રૂપિયા 5,20,000 ના ચાંદીના દાગીના સહિત કૂલ 27,50,000ની ચોરી કરી હતી. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા સુનિલ અને તેનો બનેવી રાજુ બંને હાથમાં થેલીઓ લઈને ભાગતા જોવા મળ્યા હતા. જેથી યતીનભાઈએ પોતાના જ ઘરમાં કામ કરતા આ બંને શખ્સો સામે કબાટ તોડી લાખોની ચોરી કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કોન્સ્ટેબલના ઘરમાં જ ચોરી
સરસપુરમાં વોરાના રોજા પાસે આવેલી બાઈ સરસ્વતીની ચાલીમાં રહેતા અને વાસણા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય બિનલબેન રાહુલકુમાર ઠાકોરના ઘરમાં જ લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગત 17 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન ચોરે તેમના ઘરના રૂમમાં ઘૂસીને લાકડાની તિજોરી અને અંદરનું લોકર ખોલીને ચોરી કરી હતી. આ પછી ગત 3 ઓગસ્ટે સવારે 10:30 વાગ્યે બિનલબેને લોકર ચેક કરતા તેમાંથી લગ્ન અને સાસરી પક્ષ તરફથી મળેલા સાડા ત્રણ તોલાનો સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાની ચેઈન, બુટ્ટીઓ, પેન્ડન્ટ તેમજ ચાંદીના કમ્મર જુડા અને પાયલ મળીને કુલ આશરે રૂપિયા 8,20,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. જે બાદ તેમણે પોલીસમાં ચોર સામે ફરિયાદ લખાવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

