Ahmedabad news: રખડતા શ્વાનોનો અમદાવાદમાં આતંક, માત્ર એક જ દિવસમાં 5 લોકોને બચકાં ભર્યા

Ahmedabad news: અમદાવાદ શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં 5થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામી આવી છે. એક ઘટનામાં PGમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના ગત 18 નવેમ્બરની હોવાનું જણાવાયું છે.
હીરાબાગ વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બાળક, વૃદ્ધ સહિતના લોકો પર શ્વાનના હુમલાની ઘટના વધી રહી છે. જેમાં શહેરના હીરાબાગ સહિતના વિસ્તારમાં 5થી વધુ લોકોને શ્વાન કરડવાથી સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.
PGના યુવક પર શ્વાનનો હુમલો
શહેરના શારદા મંદિર રોડ પર આવેલા એક PGના યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવક જ્યારે વ્હીકલ પાર્ક કરવા જાય છે, ત્યારે અચાનક શ્વાન ત્યાં આવીને યુવક પર હુમલો કરે છે અને પગના ભાગે કરડવા લાગે છે. આ દરમિયાન એક વ્યક્તિ યુવકને બચાવવા દોડી આવે છે.
બીજી તરફ, પાલડીના સુખીપુરામાં પાનનો ગલ્લો ચલાવતા વ્યક્તિ પર શ્વાને હુમલો કરીને ગંભીર ઈજાગ્રસ્ત કર્યો હતો. આ પછી યુવક સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા શ્વાન પકડનારી ટીમ દેખાતી નથી. રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા શ્વાનને પકડવાની કામગીરી કરવાની સ્થાનિકોએ માગ કરી છે.

