Ahmedabadમાં IPL મેચના બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓને થયો કડવો અનુભવ, વાસી ફૂડ પેકેટનું કરાયું વિતરણ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચ દરમિયાન સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત પોલીસકર્મીઓને પીરસવામાં આવેલા ભોજનમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી પોલીસ જવાનોને જે ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા તે બગડી ગયેલા હોવાનું બહાર આવ્યું છે. ભોજનમાંથી દુર્ગંધ આવતી હોવાથી અને ખોરાક ખાવાલાયક ન હોવાને કારણે બંદોબસ્તમાં હાજર અનેક પોલીસકર્મીઓ જમવાથી અળગા રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં સતત ખડેપગે સુરક્ષા આપતા જવાનોને આવું હલકી ગુણવત્તાનું ભોજન અપાતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.
પોલીસ કર્મીઓ ભૂખ્યા પેટે જ ફરજ બજાવવા મજબૂર
વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક તરફ IPLની રોમાંચક મેચ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંદોબસ્તમાં તૈનાત પોલીસકર્મીઓને આપવામાં આવેલું ભોજન બગડી ગયું હોવાનું સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખોરાક આરોગી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી અનેક પોલીસકર્મીઓએ જમવાનો ઇનકાર કર્યો હતો અને ભૂખ્યા પેટે જ ફરજ બજાવવા મજબૂર બન્યા હતા, ત્યારે સવાલ એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ જ્યાં થતો હોય, ત્યાં સુરક્ષાકર્મીઓના પ્રાથમિક ભોજન બાબતે આટલી મોટી બેદરકારી કોણે કરી?
આ ઘટનામાં પગલાં લેવાશે કે કેમ? તે જોવું રહ્યું
નિયમ મુજબ, ફરજ પરના પોલીસકર્મીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો કે, આજે વિતરણ કરવામાં આવેલા ફૂડ પેકેટમાં ખોરાક વાસી અને બગડેલો હોવાનું પોલીસકર્મીઓના ધ્યાને આવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં અંદરખાને ગણગણાટ શરૂ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક જલ્દી બગડી જતો હોય છે, છતાં યોગ્ય સંગ્રહ કે તાજું ભોજન પૂરું પાડવામાં કેમ ન આવ્યું? શું કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? તે હવે જોવાનું રહ્યું.

