જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું

ગુજરાતી સંગીત જગત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન થઇ ગયું છે. તેમણે મોડી રાતે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. ગુજરાતી સંગીત જગતમાં તેમનો ફાળો પ્રસંશનીય રહ્યો છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
વારસામાં મળ્યું હતું સંગીત
ગૌરાંગ વ્યાસની વાત કરીએ તો તેમને વારસામાં જ સંગીતકળા મળી હતી કેમ કે તેમના પિતા અવિનાશ વ્યાસ હતા અને તેઓ પ્રખ્યાત સંગીતકાર હતા. ગૌરાંગ વ્યાસ લોકસંગીત, ભજન, રાસ ગરબા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ફાળો આપી ચૂક્યા હતા. તેઓ 500થી વધુ ગુજરાતી ગીત-કવિઓ તથા ગઝલકારોની રચનાઓને સંગીત આપી ચૂક્યા હતા.
તેમના આ આલ્બમ ખૂબ જ જાણીતા
87 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા ગૌરાંગ વ્યાસના ઘણા સંગીત આલ્મબ પ્રચલિત હતા જેમાં 'ભજન અનમોલ', 'જલારામની ઝૂંપડી', 'ગંગા સતીના ભજનો', 'કહત કબીર', 'નોન સ્ટોપ ડાંડિયા રાસ' અને પ્રાચીન પ્રભાતિયાનો સમાવેશ થાય છે. 'લવની ભવાઈ' જેવી જાણીતી ગુજરાતી ફિલ્મમાં તેમનું સંગીત યાદગાર રહ્યું હતું. તેમના જાણીતા ગીતોમાં 'આજ વગડાવો રુડા શરણાઈ…' અને 'મને એકલી મેલીને' જેવી રચનાઓ ખૂબ જ વખણાય છે. ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર 1938 ના રોજ થયો હતો. ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં તેમના ફાળા બદલ તેમને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

