VIDEO: Ahmedabad / કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ; અમરેલી અને ભાવનગર સહિત આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા નાગરિકો માટે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલના અંતિમ સપ્તાહ પહેલા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. આ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, એટલે કે ગરમીનો પારો સ્થિર રહેશે. જોકે, 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાને કારણે અસહ્ય બફારાનો અનુભવ થશે.
ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે, કારણ કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 19 અને 20 એપ્રિલના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે.

