Video/ 'આપનું મંત્રી મંડળ ક્યારે કામ કરશે ...': BLO શિક્ષકોના મોતના મામલે મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
ગુજરાતમાં બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકેની કામગીરી દરમિયાન શિક્ષકોના મોત નિપજવાના અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ તથા શહેર પ્રમુખ પ્રેરક શાહના સંવેદનહીન નિવેદનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ભાજપ સરકાર પર શિક્ષક સમુદાયના જખમ પર નમક ચોળવાનો આક્ષેપ કર્યો છે.
ચાર દિવસમાં ચાર BLOના મોતથી ચિંતા
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શિક્ષકોને સોંપવામાં આવેલી BLOની કામગીરીની પદ્ધતિને કારણે શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 90% શિક્ષકોને BLOની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અન્ય 12 રાજ્યોમાં આ કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, "છેલ્લા ચાર દિવસમાં ચાર BLOના મોત નિપજ્યા છે." તેમણે દાવો કર્યો કે અવ્યવસ્થા અને કામ થોપી દેવાની પદ્ધતિથી શિક્ષકો પીડાઈ રહ્યા છે.
સંવેદનહીન નિવેદનો
મંત્રી ઈશ્વર પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા મનીષ દોશીએ કહ્યું હતું કે: "રાજ્ય કક્ષાના મંત્રીએ અસંવેદનશીલ નિવેદન આપ્યું છે, જે શિક્ષણ સમુદાયના જખમ પર નમક ચોંટાડે છે." તેમણે ભાજપના નેતાઓને આડે હાથ લેતા સવાલ કર્યો કે, "આપ શ્રી અને આપનું મંત્રી મંડળ ક્યારે કામ કરશે?"
કોંગ્રેસની માંગણીઓ
મનીષ દોશીએ કોંગ્રેસ પક્ષ વતી રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ મુક્ત જણાવ્યું હતું કે, જે BLOના મોત થયા છે, તેમના પરિવારને સહાય આપવામાં આવે. શિક્ષકોને સપોર્ટ સ્ટાફ આપવામાં આવે. વ્યવસ્થાને મજબૂત કરવા માટે BLOની કામગીરી સરળ બનાવવામાં આવે.
અંતમાં, તેમણે સત્તાધારી પક્ષને ચેતવણી આપતા કહ્યું હતું કે, "શિક્ષક સમુદાયને મદદ ન કરી શકો તો કંઈ નહીં, પરંતુ તેમના જખમ પર નમક ન ચોંટાડો." તેમણે ભાજપના નેતાઓને રાજ્યના હિત માટે કામ કરવા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

