મોટા સમાચાર : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડો.પ્રશાંત વજીરાણી 7 દિવસના રિમાન્ડ પર

Khyati Hospital Scandal : ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ (હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ ડૉ.પ્રશાંતની ધરપકડ કરવામાં આવી હતી.
આજે વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ડૉ.પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : VIDEO : વડોદરામાં ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ, દર્દીને બિનજરૂરી ઑક્સિજન માસ્ક પહેરાવી ફોટો પાડ્યાં
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ
નાણાંની લાલચે બે દર્દીઓના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યાં છે તે જગજાહેર છે. હોસ્પિટલના માલિક કાર્તિક પટેલે કન્ટ્રક્શન વ્યવસાયમાં જ નહીં, શિક્ષણ અને મેડિકલ વ્યવસાયમાં ય હાથ અજમાવ્યો છે. કાર્તિક પટેલના ભાજપના ટોપના નેતાઓ સાથે નજીકનો સંબંધ રહ્યો છે.ફેસબુક પેજ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો જોવા મળે છે.
આ પણ વાંચો : ખ્યાતિ ગ્રૂપનું કૌભાંડ: અમદાવાદમાં 6 લાખ વાર જમીનના પૈસા લઈને દસ્તાવેજ ન કર્યા, લોકોના રૂપિયા ડૂબ્યા
ઉત્તર ગુજરાતના એક નેતાની સંડોવણી
મેડિકલ વ્યવસાયિકોમાં ચર્ચા છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના એક ભાજપના નેતાની જ ભાગીદારી છે. આ જોતાં ખ્યાતિ હોસ્પિટલના માલિક-ડિરેક્ટરોને ઉની આંચ નહીં આવે. પોલીસ ફરિયાદ પણ એવી રીતે નોધવામાં આવશે કે ભવિષ્યમાં છટકબારી શોધી શકાય. આ અગાઉ પણ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બની છે જેમાં પણ દાખલો બેસે તેવી કોઇ કાર્યવાહી થઇ શકી નથી.
આમ,ચંદા દો-ધંધા દોની નીતિને કારણે હોસ્પિટલ માલિક સામે કડક કાર્યવાહી થાય, મૃતક પરિવારને ન્યાય મળે તે દેખાતુ નથી.

