VIDEO: ધોળકામાં જિગ્નેશ મેવાણીનો સરકારને પડકાર, ખેડૂતોના પ્રશ્ને 24 સપ્ટેમ્બરે આંદોલનની ચીમકી
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની મુલાકાત દરમિયાન સામાજિક અને જમીન સંબંધિત પ્રશ્નોને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું. ધોળકાની રોહિત સમાજની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજ માટે યોજાયેલી ચિંતન શિબિરમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન સમાજ પર થતા અત્યાચાર સામે સંઘર્ષ, ન્યાયી હક માટે લડત અને સામાજિક કુરિવાજ ‘ગોળ પ્રથા’ બંધ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સરોડાની જમીનના પ્રશ્ને 15 દિવસનું અલ્ટિમેટમ
મુલાકાત દરમિયાન જિગ્નેશ મેવાણીએ સરોડા ગામની જમીનોના પ્રશ્ને પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. અન્ય લોકોના કબજા હેઠળ રહેલી જમીનો 15 દિવસમાં મૂળ ખાતેદાર ખેડૂતોને પરત સોંપવામાં આવે તેવી માગ તેમણે કરી હતી. સાથે જ ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ખેતી કરવા દેવા અને ગેરકાયદે કબજો કરનારાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવાની પણ માગણી કરી હતી.
મેવાણીએ ચેતવણી આપી હતી કે જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પ્રાંત કચેરી ખાતે વિશાળ આંદોલન કરવામાં આવશે. તેમણે જમીનના પ્રશ્ને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
પાંચ ગામના ખેડૂતોને મેવાણીનું સમર્થન
ભેટાવાડા ગામે છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહેલા પાંચ ગામના ખેડૂતોની પણ જિગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી. ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના જીવન અને જમીન સાથે કોઈ પ્રકારનો અન્યાય ચલાવી લેવામાં નહીં આવે.
મેવાણીએ ચીમકી આપી હતી કે જો તંત્ર અને સંબંધિત કંપનીઓ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો આગામી 24 સપ્ટેમ્બરે સમગ્ર ધોળકા તાલુકામાં મોટું આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

