VIDEO: અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પોલીસનો લોખંડી બંદોબસ્ત, રસ્તાઓ બંધ કરતા વાહનચાલકોને હાલાકી
રાજકીય ઘર્ષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. પોલીસ કમિશનરની ખાસ સૂચના બાદ કાર્યાલય પરિસરમાં આશરે ૪૦૦ જેટલા પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા સ્થિતિ સમીક્ષા દરમિયાન પોલીસ કમિશનરે હાજર અધિકારીઓને કડક આદેશ આપ્યા છે કે, "અહીં કોઈ અનિચ્છનીય બનાવ બનવો જોઈએ નહીં અને કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિને અંદર પ્રવેશવા દેવા જોઈએ નહીં." આ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે શહેરના કુલ ૧૪ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટાફને તાત્કાલિક અસરથી ખાનપુર ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે.ખાનપુર જતાં તમામ રસ્તાઓ બંધ કરાતા સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ પોલીસને પ્રજા કરતાં ભાજપની ચિંતા વધુ હોય તેવી લોકચર્ચાએ જોર પકડયું છે.

