VIDEO: રખડતા શ્વાન મામલે ગુજરાત હાઇકોર્ટની મહત્વપૂર્ણ સૂચના
અમદાવાદમાં રખડતા શ્વાન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે રખડતા શ્વાનને ઓળખવા માટે શ્વાન મિત્રોની ઓળખ કરવા અને દરેક વોર્ડમાં શ્વાનની ટેરીટરી નક્કી કરવા નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આડેધડ કામગીરી કરવાને બદલે નક્કર અને વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરવી જરૂરી છે. ભિક્ષુક અને શ્વાન અનેક વખત સાથે જોવા મળે છે અને તેઓ સાથે જમતા હોવાની પણ કોર્ટે નોંધ કરી હતી. મોર્નિંગ વોક માટે નીકળતા લોકો પણ હાથમાં બિસ્કિટ સહિતની વસ્તુઓ લઈને નીકળતા હોવાની ટકોર કરી હતી. AMCના સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પ્રાથમિક ધોરણે વસ્ત્રાપુરમાં કામગીરી શરૂ કરાઈ છે. સોસાયટી પ્રમાણે શ્વાનની ગણતરી કરી ચાર લોકોની ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે કામગીરી થઈ રહી છે. ઉપરાંત CNCD વિભાગ દ્વારા શાળાઓમાં જાગૃતિ અભિયાન ચલાવી બાળકોને રખડતા શ્વાન અને ગલૂડિયાંથી દૂર રહેવા સમજાવવામાં આવી રહ્યા છે. મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

