બુલડોઝર એક્શન પર હાઈકોર્ટની લાલ આંખ: બાપુનગર ડિમોલિશન મામલે AMC કમિશનર અને ચીફ સેક્રેટરીને નોટિસ

Ahmedabad news: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર આરોપીઓના મકાનો તોડી પાડવાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટના ડિમોલિશન અંગેના સ્પષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન થતું હોવાની રજૂઆતને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન?
અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, 13 નવેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ડિમોલિશન બાબતે ચોક્કસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. આ નિયમો મુજબ, કોઈ પણ અનઅધિકૃત બાંધકામને તોડતા પહેલા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવી અનિવાર્ય છે. જોકે, બાપુનગરના કિસ્સામાં કોર્પોરેશન તંત્ર દ્વારા આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
માત્ર બે દિવસની નોટિસ અને સીધી કાર્યવાહી કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ, અરજદારને પોતાનો પક્ષ રાખવા માટે માત્ર બે જ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, જ્યારે આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દીવાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને મામલો ન્યાયાધીન હતો, તેમ છતાં તંત્રએ ઉતાવળ કરી મકાન તોડી પાડ્યું હતું. જાહેર જગ્યા પરના દબાણો હટાવવા માટે પણ જે કાયદેસરની પ્રક્રિયા અનુસરવી જોઈએ, તેમાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું જણાય છે.
હાઈકોર્ટની નારાજગી અને આગળની કાર્યવાહી સમગ્ર બાબતની ગંભીરતા જોતા ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી પૂછ્યું છે કે કેમ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી? હવે આ કેસની વધુ સુનાવણી આગામી 5 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

